પહેલવાનની બાજુમાં બેસવાથી પહેલવાન નહિ થવાય તેની ગેરંટી મારી છે. બાકી ફૂલવાળાની સંગતે બેસવાથી મઘમઘતાં નો થવાય એ વાત તદન ખોટી છે કારણ કે ફુલ હાથમાંથી મુક્યા પછી પણ તેની સુગંધ તો રહે છે. જેમકે રાધાના લગ્ન પછી પણ શ્યામનો પ્રેમ તો હજી પણ અંકબંધ અને વધતો જાય છે. જો તમારે કરવી જ હોય તો ખાલી કોઈ કવિની જ સોબત કરજો ને? પોચા-પોચા થઇ જશો દોસ્ત! પ્રત્યેક સ્ત્રીએ (પત્નિ કે ગર્લફ્રેન્ડ) પુરૂષને (પતિ કે બોયફ્રેન્ડ) હળવા ફૂલ જેવાં બનાવવાં હોય તો દરેક પુરૂષને કવિતાના રવાડે ચઢાવવાની ટ્રાઈ કરવા જેવી. આ તો મારો જાત અનુભવ કહું છું કે એક વખત કવિ સંમેલનમાં મારાંથી હાજરી શું અપાઈ ગઈ કે મારાં કઠોર શબ્દો પોચા-પોચા થઇ ગયાં. જાણે કે કોઈ મારકણી કન્યાના મોહાંધ બની ગયાં. સ્વામીના શબ્દો માશૂક શ્યામલીના બની ગયાં. કવિતાના હજુરિયા ને ખજુરીયા થઇ ગયાં! ટાઈટલ વાંચીને તમને એવું નહિ થાય કે આ ભોજલું રાતોરાત જાલિમ મટીને ગાલિબના રવાડે કેમનો ગયો એટલે આ તો ચોખવટ કરી!
દોસ્તો તમને પણ મારી ચિંતા તો થતી જ હશે? એક તો ગુજરાતીમાં હાસ્ય લેખકોનો સ્ટોક ધટી રહ્યો છે અને એમાં વળી અમારા જેવા કવિતાના રવાડે ચઢેલાઓ જો હાસ્યની રેંકડી લઈને અમારા જેવાં ધંતુરા પણ હાસ્ય પરિવર્તન કરવા નિકળી પડે તો ડૂમો જ ભરાય! ચારેયકોર હાસ્યનો દુકાળ છે ત્યારે હાસ્યલેખકને તો વેન્ટીલેટર ઉપર પણ ધબકતો રાખવો પડે અને બીજુ હાસ્યના ‘એટીએમ’ હોતાં નથી. જો કે મને તો હાસ્યની ચૂડેલ વળગેલી એટલે હું તમને હસાવું છું. હાસ્યની નવી ચૂડેલ સાથે છેડાગાંઠી કરીને હવે એક ભવમાં બે ભવ ક્યાં કરવાં? તે પણ ઉમરની અડધી સદીએ? વસવસો એ વાતનો કે, આજે તો શબ્દો કવિતામાં ગયાં કાલે કદાચ કોઈ વેપારીને ત્યાં નામું લખવા બેસી ગયાં તો? એના કપાળમાં કાંદા ફોડું, ચેતતો નર સદા સુખી! જાગતા હોય તો પથારી ભીની નહિ થાય!
વાત તો કરવી છે મકરસક્રાંતિની! ઠંડીની લહેરખી ને પવનના સપાટા એવાં વીંઝાય છે કે પથારીમાં સૂતા સૂતા ધાબળા ઓઢીને પણ પતંગને ઠુમકા મારવાની ઈચ્છા થઈ આવે. ઊંઘમાં પણ બોલાય જાય… એ…લા… એઇઇ…આઇવો, આઇવો કાપો… કાપો…!!!
ક્યાં પતંગ અને ક્યાં છે દોરી? ક્યાં કૃષ્ણ ને ક્યાં છે રાધા ગોરી? લખવું છે આજે તો મકર સક્રાંતિ ઉપર અને મનની રાધાને શોધતા શોધતા જાણે રુકમણી મળી જાય તેવું ટાઈટલ મળ્યું અને તે પણ એવું કે “યુદ્ધ કરવાને બદલે શ્રી કૃષણ તો કુરુક્ષેત્રના મેદાનમાં ‘ચાર બંગડીવાળો’ ગરબો ગવડાવવા નહિ નીકળ્યાં હોય? સાચું-ખોટું તો ખ્યાતનામ કવિ જાણે કે ટાઈટલમાં કવિતાનું પોત જેવું છે કે નહિ. એટલી તો ખબર પડે કે ‘સૂંઠને ગાંગડે ગાંધી થવું અને મોદીની હયાતીમાં રાહુલરાજ લાવવું’. બન્ને અઘરું! પણ ફાંકાને ક્યાં કોઈ બંધન હોય? કવિતાના રવાડે ચઢવામાં શબ્દોને પણ મચેળાવાની એવી ઉપડી કે, “ફીરકી પકડો તો ફીરકી ઉપર અને કન્ના બાંધો તો કન્ના માટે એ શાયરી બની જાય.” ગંગાનું પ્રાગટ્ય થતું હોય એમ કવિતાનું પ્રાગટ્ય આપોઆપ થવા માંડે! કવિતાનું પહેલું મંગલાચરણ મારે લગ્ન પહેલાં થયેલું હતું માત્ર એક જ પંક્તિ વાઈફને કહી હતી.
તુ મંદિરની ઘંટડીને હું મંદિરનો ઘંટ,
તારો ભાઈ નાગ ને હું તારો નીલકંઠ.
કહેંતા તો કેવાય ગયુ હતું પણ પછી તો એ પ્રશ્ન પણ કાશ્મીર જેવો સળગેલો. સમજો જાણે કે માંડ માંડ એની સાથે માહ્યરા સુધી પહોંચેલો! ત્યારથી આજ સુધી એના પિયરીયા મને મંદિરના ઘંટની માફક આવતાં ટપેરતાં જાય છે! પછી બત્તી થઇ કે આને કવિતા નહિ પણ કઠણાઈ કહેવાય! એ કારણથી આજ તો હાસ્યના રવાડે ચઢી તો ગયો પણ હજી ઉતર્યો નથી! નેતા બનવા અભ્યાસની ભલે જરૂર ના હોય પણ કવિ બનવું સાલું અઘરું ખરું! એ માટે શબ્દોનો સરસામાન જોઈએ. પ્રેમ-દિલ-દરિયો-નદી-ચાંદ-તારા-આકાશ-ફૂલ-વાદળ-આંખ-સુગંધ ને ઝાંકળ જેવાં શબ્દો ઉપર પૂર્વાર્ધ કવિ અને શાયરોએ એટલો ખુરદો બોલાવી દીધો કે નવો માલ કાઢવો ક્યાંથી? નવો માલ કાઢીએ અને જો ક્યાંક તો માલ નહિ ઝામે અને ક્યાંક તો આપણે નહિ ઝામીએ. કવિ બનવા માટે છાંટ પણ જોઈએ અને છટા પણ જોઈએ. જ્યારે હાસ્ય ને પીરસવા માટે ખાલી ને ખાલી ખુલ્લુ દિલ અને મોઢું જોઇએ. આવું બધુ દર વખતે કવિના લેબાશમાં ક્યાંથી ચાલે? માનવ સંસાધનમાં કર્મચારીઓ જોડે બરાડા પાડવા જ ચાલે. હાસ્ય સંમેલનમાં ભૂલમાં પણ ઘૂસ્યા તો કોઈ રેસલિંગવાળો ઘુસી ગયો હોય એવો લાગે! આ તો બગાસું ખાતાં પતાસું પડ્યું હોય એમ જ લખાય ગયું કે “રાધા મારી દોરી ને હું રાધાનો પતંગ!” બાકી વાતમાં કોઈ ગુડ્ઝ નહિ! (ગુડ્ઝ એટલે ‘માલ’ સમઝવાનો યાર!)
ઈચ્છા તો મોટી મોટી થાય કે, પતંગ ચગાવીને આકાશને તોડી જ પાડીએ. પણ પાધરો પવન જ નહિ ફૂંકાતો હોય તો પતંગ કોઈ ઝાડવે પણ રાતવાસો કરી નાંખે. પવન વગર તો લેપળી પણ ચગવા પહેલાં નખરાં કરે. માહોલ જ નહિ ઝામે યાર! જ્યાં કાપાકાપીના જ ગગનભેદી નાદ થતાં હોય ત્યાં કવિતા ચીતરવી એટલે ખીચડીમાં આઈસ્ક્રીમ નાંખીને ઝાપટતાં હોય હોય એવું લાગે!
મકર સંક્રાંતિ એટલે મૌજનો દિવસ. આ દિવસે ઉમર કોઈને આડી આવે જ નહિ. ડોહા-ડોહા પણ બામ લગાવીને ધાબા કૂદવા લાગે. ધાબે ધાબા નશીલા થઇ જાય તે અલગ. એવું જોશ આવી જાય કે લેપળી તો લેપળી એ પણ એકવાર તો ચગાવી કાઢે! કોણ એમને કહેવા જાય કે હૃદય ઉપર બહુ જોર નહિ આપવાનું. એટેક મકર સક્રાંતિની શરમ રાખતો નથી. એમણે તો ચગાવ-નાર કરતાં તો ચગતા પતંગને જ જોવાના કપાયેલા પતંગની બળતરા પણ નહિ કાઢવાની ને લુંટારા પણ નહિ બનવું. નાહક હૃદય ઉપર પ્રેસર આવે! જોર કરીને બોલવા ગયાં કે, “જો હમસે ટકરાયેગા, વો ધરતી પે આ જાયેગા!” તો ખલ્લાસ! હાથમાં પતંગ નહિ આવે બારણામાં ૧૦૮ જ આવે!
ખરી દશા તો પતંગને જોવાની આવે. અમુક પતંગ તો બકરી ઇદના બકરા જેવાં તૈયાર થઈને બેઠાં હોય. અમુકની કમ્મર ભાંગેલી હોય તો અમુકના ચામડાં-ચામડાં નીકળી ગયાં હોય તો કોઈના સાવ કન્ના વગરના કુંવારા પડ્યાં હોય તો કોઈ વળી પરણીને પસ્તાયા હોય એમ વિધૂર બનીને ખૂણે ટૂંટિયું વળીને બેઠાં હોય.
જિંદગીની આ જ તો મઝા છે દિવ્યેશ,
પતંગથી આકાશને ખોળે વસાવ્યું છે.
આ બધામાં એક મુખ્ય વાત તો કહેવાની રહી જ ગઇ કે એક સમયે દ્વારિકામાં મકરસંક્રાતીના દિવસે સવારથી જ રાજમહાલયનાં ભવનોમાં વસતા શ્રીકૃષ્ણના સ્વજન-પરિવારમાં જ નહિ, સમસ્ત દ્વારિકાપુરીના પ્રજાજનોમાં આ ધાર્મિક ઉત્સવે આનંદ અને ઉલ્લાસનું અનોખું વાતાવરણ સર્જાયું હતું. લાંબા સમયથી ઉત્સવવિહોણી થઈ ગયેલી યાદવપ્રજા હવે આ નિમિત્તે એકબીજાને વારંવાર હળવામળવાનું થતા અભિનવ આંતરિક એકતા અનુભવી રહી હતી. રાજયના કામે દૂર દૂર ગયેલા યાદવ સરદારો અને સેવાનાયકો પણ આ અનોખા મકરસંક્રાતીના પર્વના સમાચાર મળતાં મારતે ઘોડ રાજધાનીમાં આવી રહ્યા હતા. સાથે સાથે આમંત્રિતો અને યાત્રિકોનાં ટોળેટોળાં દ્વારિકામાં આવવા માંડ્યાં હતા. રાજયનાં તમામ વિશ્રામગૃહો અને અતિથિ ખુલ્લાં મુકી દેવામાં આવ્યાં હતાં.
શ્યામ જયારે કૃષ્ણભવનમાં પતંગ ચગાવવા અગાશી ઉપર જઇને જુએ છે કે ત્યાં આસપાસમાં અનેક દ્રારીકાવાસીઓ પોત પોતાની પતંગો અને ફીરકી લઇને આનંદ માણી રહ્યા હોય છે જ્યારે શ્યામસુંદરની નજરો રાધાને શોધતી ફરી વળે છે કાશ મહાદેવ કોઇ કૃપા કરે અને તેની રાધા અહીં કહીં આસપાસામાં કોઇ તેનું સગાવહાલું હોય અને રાધા પણ ત્યાં પતંગ લઇને ચગાવવા માટે આવી હોય તો તેના દર્શન થઇ જાય. જ્યારે શ્યામ પણ થોડા પ્રયત્નો પછી જાણે છે કે આ તો એક સ્વપન જ છે.
શ્યામ સાથે આ રીતે અગાસી પર તદ્દન નીરવ વાતાવરણમાં આ રીતે પતંગ ચગાવવાનો આ રુકમણી માટે તો પહેલો જ અનુભવ હતો. અદભુત પ્રાકૃતિક વાતાવરણમાં પોતાનાં હળવા હળવાં હવાઓના મોજાં દ્વારા દ્વારિકાધીશને સ્પર્શ કરી રહેલો આ પવનને રુકમણીજીને આજે કેટલો ભવ્ય અને ગહન ભાસ્યો એવો ભૂતકાળમાં ક્યારેય નહોતો ભાસ્યો !
શ્યામે કહ્યું : “રુકમણી! આ મારી, એકાંત ધ્યાન-ચિંતન માટેની ખાસ ગોપનીય જગ્યા છે, જયાં હું મહિનામાં કેટલીયે વાર સંધ્યાકાળે અને રાત્રિના સમયે એકલો આવું છું અને ક્યાંરેક કલાકો સુધી ધ્યાનમગ્ન રહીને, આર્યાવર્તના હિતની, સાધુસંતોના રક્ષણની અને આર્યધર્મના પુનરોદ્ધારની યોજનાઓ ઘડું છું. દ્વારિકાની સ્થાપના કરી ત્યારથી માંડી આજદિન સુધીમાં સેકડોવાર હું આ સ્થાને અગાશીમાં આવીને અરબ સાગરના મોજાઓને જોવા માટે, હૃદયમાં અજંપો ભરીને આવ્યો છું અને ભરપૂર આનંદ ભરીને પાછો ગયો છું. પરંતુ આજે તમને સાથે લઈને આ સ્થળે આવવા પાછળ મારાં બે પ્રયોજન છે.
એક તો મારે તમને એ હકીકતથી સુજ્ઞાત કરવા છે કે જેમ હું શ્રીરાધાથી ભૌતિક-દૈહિકરૂપે વર્ષોથી અલગ રહેતો હોવા છતાં એક ક્ષણ માટે પણ એનાથી માનસિક-આધ્યાત્મિકરૂપે છૂટો પડ્યો જ નથી તેમની સાથેનો મારો પ્રત્યક્ષ વ્યાવહારિક સંબંધ દ્વારિકામાં આવ્યા પછી ભલે કપાઈ ગયેલો ભાસતો હોય છતાં પરોક્ષ આંતરિક સંબંધ તો સતત ને અતૂટપણે જળવાઈ રહ્યો છે. આ હકીકતની પ્રતીતિ કરાવવા માટે જ હું તમને ઓ સ્થાને ખેંચી લાવ્યો છું…
એમ કહીને શ્યામે ત્યાં જ ઉભા રહીને તેની આંખોને બંધ કરી ને સહેજ ડોકને ઉચ્ચે ઉઠાવી અને બન્ને હાથ ને હવામાં સહેજ ઉચ્ક્યા હતા આશ્ચર્ય ચકિત થઈ ગયેલા રુકમણીએ હવામાં જોયું તો અશ્રુતના માથા ફરતે દિવ્ય તેજરશ્મિનું એક ચક્રાકાર વર્તુળ ઘૂમી રહ્યું હતું ! જાણે હવાના માધ્યમથી ઉત્પન્ન થયેલ વિદ્યુત દ્વારા શ્યામના શરીરમાં કોઈ દિવ્ય સંદેશનું પ્રસારણ ન થઈ રહ્યું હોય! બીડલા નયને ધ્યાનાવસ્થામાં બિરાજેલ યોગેશ્વર શ્રીકૃષ્ણના મુખારવિંદ પર અવર્ણનીય આનંદનો ઓધ ઊછળી રહ્યો હતો. શ્યામના આવા દિવ્ય સ્વરૂપનાં દર્શન કરીને રુકમણી તો કૃતકૃત્ય થઈ ગયા.
થોડીવાર બાદ ચક્ષુ ખોલીને અંતર્યામી અત્યંત પ્રસન્નચિત્તે બોલ્યા: “રુકમણી! આ એક અદભુત રાધા રહસ્ય છે જે હકીકતમાં અસંભવિત તો નથી જ પરંતુ એને સંભવિત ને સાકારિત કરતાં સાધારણ મનુષ્યને હજી હજારો વર્ષો લાગી જશે… તમે હમણા જે દેશ્ય નજરે નિહાળ્યું તે હવાના માધ્યમ દ્વારા થઈ શકતું સંદેશ-પરિવહન’ છે. રુકમણી! તમે તો જાણો છો કે વહેંતા આ પવનને કોઈ બંધન કે મર્યાદા નથી; એટલું જ નહિ, આ સમ્રગ સૃષ્ટી સાથે અતુટપણે સંકળાયેલાં છે…
હવે આ પ્રાકૃતિક સંરચનાના પરિપ્રેક્ષ્યમાં એક બીજી આધિભૌલિક અને આધિદૈહિક સત્ય ઘટના પણ જાણી લો… દૂર દૂર વ્રજભૂમિમાં અત્યારે શ્રીરાધાજી પોતાના હાથ અને પગને હિના થી સજાવી અને સણગારી રહ્યા છે. એમના સમગ્ર મનોભાવ એકત્રિત થઈને એમના હાથ અને ચરણકમળ દ્વારા હવામાં સંક્રમિત થાય છે અને પવનના માધ્યમ દ્વારા પરિવાહિત થતા શ્રીરાધાના મનોભાવ એમની હૃદયેચ્છા એમનો સંદેશ વિદ્યુતવેગે ગતિમાન થઈને અહીં સુધી પહોંચે છે! હું મારી આંખોને આ રીતે બંધ કરીને જ્યારે ધ્યાનમગ્ન થાઉં છું ત્યારે તેની ખૂશ્બુ-એ-હિનાને હું અનુભવુ છું ત્યારે એમનાં વિચારસ્પંદનો મારા મનને સ્પર્શે છે અને મારું રોમરોમ શ્રીરાધા સાથે અને શ્રીરાધાનું અંગપ્રત્યાંગ મારી સાથે વિચારતંતુઓની આપલેથી તરત જોડાઈ જાય છે! કલાકો સુધી અમે બંને આમ દૂર બેઠાંબેઠાં પણ દૂરવાણી અને દૂરશ્રવણ યંત્રની ભાંતિ દૂરગામી સંદેશાઓની અભૂતપૂર્વ આપલે કરવાનો આનંદ માણીએ છીએ…
આટલું કહીને શ્રીકૃષ્ણ ફરી પાછા રુક્મણી સાથે પતંગ ચગાવવામાં મશગુલ બની જાય છે અને રુક્મણી તેની પાછળ ફિરકી પકડીને ઉભા હોય છે. ત્યાં ફરી હવામાં ઉડી રહેલ પતંગને જોતા શ્યામને ફરી એક સંદેશો મળે છે કે રાધા જ મારી અનંત જીવનની દોરી છે અને બીજી બાજૂ રાધા પણ તે જ સમયે પતંગ ચગાવતા એક સંદેશો મળે છે કે મારી જીવનની ખરી પતંગ તો શ્યામ છે. એટલે જ “રાધા મારી દોરી ને હું રાધાનો પતંગ!”
Leave A Comment